Wednesday, April 22, 2009

કોન્ફિડન્સની કમીનું કમઠાણ..!

નેતાથી માંડીને પ્રજાને અબ કિસી કો કિસ પર ભરોસા નહીં... અબ કહાં જાયેં હમ!?

પેલી એડ જોઈ? આઠ-દસ વર્ષની સહેજ ગોળમટોળ ચહેરો ધરાવતી ચશ્માંધારી છોકરી પપ્પાને પૂછે છે: શું હું રૂપાળી છું? તરત બીજું દ્દશ્ય.

સ્કૂલના કલાસમાં એ છોકરી સાથે વાત કરવાનું તો દૂર રહ્યું, કોઈ એની સામે જોવા તૈયાર નથી. એટલામાં ઢેંગટેડેંગ... પપ્પા એક મસ્ત કાર ખરીદી આવે છે અને કલાસમાં આવીને દીકરીને રીતસર ‘તેડી’ જાય છે. આખી સ્કૂલ કાર જોઈને અંજાઈ જાય છે.

છોકરીનો કોન્ફિડન્સ પળવારમાં ૮૦૦૦થી ૨૧૦૦૦ના સૂચકાંક પર પહોંચી જાય છે અને છોકરી કારની પાછલી સીટમાં પોતે જાણે બ્યુટીકવીન

કિલયોપેટ્રા હોય એવી શાનથી ટાંટિયા લંબાવીને બેસે છે. ઠીક છે, કાર વેચવા માટે આ કીમિયો સારો છે. પણ આ એડ દ્વારા કવિ કહેવા શું માગે છે? એ જ કે સંતાન આત્મવિશ્વાસના અભાવથી પીડાતું હોય તો પપ્પાએ નવી મોંઘી કાર ખરીદીને સ્કૂલે પહોંચી જવાનું. કૂમળાં બાળમાનસ પર આ એડ એવી છાપ પાડે છે કે કોન્ફિડન્સ ‘ખરીદેબલ’ છે, કારના શો રૂમમાં એ વેચાતો મળે છે. છોકરું એ નથી સમજતું કે ફાંકડી કારના જોરે, બાપાના પૈસાના જોરે મળેલું ‘માન’ તો બે-ચાર દિવસ જ ટકવાનું. પણ રમત-ગણિત-ચિત્રકામ વગેરે જે કોઈ ક્ષેત્રમાં એને વિશેષ ફાવટ હોય એ દિશામાં આવડત વિકસાવવામાં આવે તો આત્મવિશ્વાસ આજીવન ટકે.

બીજો કિસ્સો. આ એડ નથી, સત્યઘટના છે. મૈસુરમાં ૨૩ વર્ષના અભિજિત મુખરજીએ ગયા બુધવારે પંખે લટકીને આપઘાત કર્યો. છોકરાને ઇન્ફોસિસ જેવી માતબર કંપનીમાં કમ્પ્યૂટર એન્જિનિયર તરીકે નોકરી મળી ગયેલી. તેની ટ્રેનિંગ ચાલી રહી હતી. એવામાં અચાનક એણે આત્મહત્યા કરી લીધી અને મરતાં પહેલાં મા-બાપને ચિઠ્ઠી લખી: હું તમને પહેલેથી ના પાડતો હોવા છતાં તમે મને પરાણે ઇજનેરી વિધાશાખામાં ધકેલ્યો. હવે આવું બધું (કમ્પ્યૂટર એન્જિનિયરિંગનું) ભણવાનું દબાણ હું વેઠી શકું તેમ નથી.

છોકરાને બારમામાં સારા ટકા આવે એ સારી વાત છે, પણ ‘આટલા ટકા આવે તો આ લાઇન લેવાની’ એ તો કોઈ રીત છે? ભયંકર ગોખણપટ્ટી અને મહામહેનતના જોરે છોકરું બારમામાં ‘વધારે પડતાં’ ટકા લઈ આવે તો ગાડું બહુ બહુ તો કોલેજ સુધી ગબડે. પણ પછી અસલી દુનિયામાં ગોખણપટ્ટી કે રાત રાત જાગીને વાંચવાની મહેનત કામે નથી લાગતી. મુદ્દે, છોકરાની લાઇન ટકાના આધારે નક્કી કરવાની હોય કે પછી એપ્ટિટયૂટ (આવડત, પસંદગી)ના આધારે? પોતાને કઈ લાઇન નહીં જ ફાવે એ વિશે છોકરું જાણતું જ હોય છે. તેની વાત સાંભળો. ન ફાવતી લાઇનથી તેને બચાવો. નહીંતર, લખી રાખો. આગળ જતાં તેના કોન્ફિડન્સનું કચુંબર થવાનું જ છે. આવી સમસ્યાનો સાચો ઇલાજ એ જ છે: આત્મપરીક્ષણ અને આત્મવિશ્વાસ. છોકરાને શું ફાવી શકે તેવું છે, કયાં ક્ષેત્રમાં એ વધુ ‘લાયક’ છે એ વિચારવાને બદલે માત્ર માક્ર્સને ઘ્યાનમાં રાખીને લાઇન પસંદ કરી તો ભારે લોચા પડી શકે.

હવે જરા મોટા ફલક પર આવીએ. કોન્ફિડન્સની તંગી આખા દેશને સતાવે છે.

એક પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મેળવીને સ્થિર સરકાર રચવાની ખાતરી નથી. કયાંથી હોય? અંદરખાને પક્ષો જાણે છે કે એમને દેશમાં ઓછો અને સત્તામાં વધુ રસ છે અને સત્તા મેળવવા માટે તેઓ જનતાની પ્રાંતવાદી, કોમવાદી, નાત-જાતવાદી સંકુચિતતાને ભડકાવીને ગાડું ગબડાવે છે. આવામાં, પ્રજા પણ સારું શાસન આપે એવા નેતા કરતાં પોતાની ‘નાત-જાત-કોમ-પ્રાંત’ના ઉમેદવારને ચૂંટવામાં વધારે રસ લઈને પોતાના જ ‘જાતભાઈ પ્રતિનિધિ’ ચૂંટે તો થાય શું? એ જ કે પંચરંગી પ્રજાના પંચરંગી પ્રતિનિધિઓનો ખીચડો જ સંસદમાં ભેગો થવાનો. પછી સરકાર ઢીલીઢાલી જ રહેવાની. ઉગ્રવાદીઓ ચઢી આવવાના. ચીન આગળ દોડી જવાનું.

તો ઇલાજ શું? ઇલાજ એ જ છે, આત્મપરીક્ષણ અને આત્મવિશ્વાસ.

આત્મવિશ્વાસનું ગણિત બહુ સાદું હોય છે. જયારે સેવવામાં આવતી અપેક્ષા અને અસલી લાયકાત વચ્ચે ગેપ ન હોય ત્યારે કોન્ફિડન્સ આભને આંબે અને જયારે અપેક્ષા-લાયકાત વચ્ચે ખાઈ પહોળી હોય ત્યારે કોન્ફિડન્સ ભાંગી જાય. તો, આપણી અપેક્ષા શું છે? એ જ કે આપણે એક મહાસત્તા બનીએ. અને આપણી લાયકાત શું છે?

વેલ, હજારો વર્ષનો ઇતિહાસ કહે છે કે સરવાળે ભારતીય પ્રજા વિચક્ષણ, સૌમ્ય અને વૈવિઘ્યને પચાવનારી છે. આપણી આ લાયકાતોના જોરે આપણે નેતાઓને કાનપટ્ટી પકડીને એ સમજાવવાનું છે કે બોસ, તમારા રવાડે ચઢીને લડી મરવામાં અમને કોઈ રસ નથી અને બોસ, તમે જો દેશને સર્વાંગી વિકાસના જોરે મહાસત્તા બનાવવા સિવાય ભળતીસળતી વાતોમાં ખૂંપેલા રહેશો તો અમે ચૂંટણીમાં તમારો ભોગ લઈશું. નેતાઓને એટલી ખબર પડી જાય કે પ્રજા તેમની (નેતાઓની) અને પોતાની (પ્રજાની) લાયકાત બરાબર જાણે છે અને એ પ્રમાણેની અપેક્ષા રાખે છે તો નેતાઓએ સીધાદોર થવું જ પડે.

બેઝિકલી ના-લાયક કોઈ નથી હોતું. માટે, પહેલા સાચી લાયકાત જાણો અને પછી સાચી અપેક્ષા રાખો તો બેડો પાર થાય. બાકી આપણે રાખી સાવંત પાસે સ્મિતા પાટિલના અભિનયની અપેક્ષા રાખીએ તો વાંક આપણો ગણાય, રાખીનો નહીં. તો, દેશના મામલે તેમ જ અંગત સ્તરે કોન્ફિડન્સ અનુભવવો હોય તો આત્મપરીક્ષણ કરો. એ જાણો કે આપણી લાયકાત કયાં-કેવી- કેટલી છે અને અને પછી એ પ્રમાણે અપેક્ષા રાખો. આવું કરશો તો તમારે કયારેય કોન્ફિડન્સનો અભાવ નહીં વેઠવો પડે, ગેરંટી.

- (દીપક સોલિયા જાણીતા પત્રકાર અને કટારલેખક છે.)

- Loveable Poet

0 comments:

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189